HEARING IMPAIRED
શ્રવણમંદ વિભાગ
શ્રવણમંદ વિદ્યાર્થીઓના શિક્ષણ, સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટે રાષ્ટ્રીય અંધજન મંડળ, સાબરકાંઠા દ્વારા કરવામાં આવતી એક પ્રેરણાદાયી સેવા યાત્રા.
સાબરકાંઠા જિલ્લામાં આવેલું રાષ્ટ્રીય અંધજન મંડળ એક પ્રેરણાદાયી સંસ્થા છે, જે દિવ્યાંગજનોના જીવનમાં આશાનો દીપ પ્રગટાવે છે. ખાસ કરીને શ્રવણમંદ વિદ્યાર્થીઓના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે સંસ્થાએ જે પ્રયાસો કર્યા છે, તે ખરેખર પ્રશંસનીય છે. 1 ડિસેમ્બર, 1999 ના રોજ GCERT ગાંધીનગર દ્વારા IEDC સેલ હેઠળ માત્ર 12 શ્રવણમંદ વિદ્યાર્થીઓ અને એક શિક્ષક સાથે શરૂ થયેલી આ યાત્રા, આજે 2025 માં 550 થી વધુ વિદ્યાર્થીઓને સશક્ત બનાવવામાં સફળ રહી છે.
સંસ્થાનો મુખ્ય હેતુ માત્ર શિક્ષણ આપવાનો નથી, પરંતુ શ્રવણમંદ વિદ્યાર્થીઓના સંપૂર્ણ વ્યક્તિત્વનો વિકાસ કરવાનો છે. આ માટે, સંસ્થાએ શરૂઆતથી જ વાલી મીટિંગ્સ અને જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા વાલીઓને પ્રેરિત કર્યા છે. વિદ્યાર્થીઓના નિદાન બાદ, સંસ્થા તેમની શિક્ષણની જવાબદારી ઉઠાવે છે. નિવાસી કેમ્પનું આયોજન કરીને, તાલીમબદ્ધ શિક્ષકો ભાષા, ગણિત અને સંવાદ માટે સાઈન લેંગ્વેજ જેવી આવશ્યક કુશળતાઓ શીખવે છે. આ ઉપરાંત, મફત વોકેશનલ તાલીમ, ચિત્ર સ્પર્ધાઓ અને રમતગમત જેવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને મુખ્ય પ્રવાહમાં જોડવાનો પ્રયાસ કરે છે.
સામાન્ય શાળાઓમાં અભ્યાસ કરતા શ્રવણમંદ વિદ્યાર્થીઓ માટે સંસ્થા વ્યક્તિગત શિક્ષણનું આયોજન કરે છે. શિક્ષણનો ક્રમ જળવાઈ રહે તે માટે પ્રયાસો કરવામાં આવે છે અને વર્ષના અંતે મૂલ્યાંકન દ્વારા તેમની પ્રગતિનું નિરીક્ષણ કરવામાં આવે છે. આ અંગત રસ અને કાળજીને લીધે વિદ્યાર્થીઓનું શિક્ષણ સતત આગળ વધે છે.
શિક્ષણની સાથે, સંસ્થા વિદ્યાર્થીઓની સુષુપ્ત પ્રતિભાને પણ બહાર લાવે છે. શ્રી ભાસ્કર સાહેબ અને પ્રવિણાબેનની દીર્ઘદ્રષ્ટિને કારણે સંસ્થા સ્વખર્ચે વિદ્યાર્થીઓને જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે તૈયાર કરે છે. આના પરિણામ સ્વરૂપે, વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં દ્વિતીય અને તૃતીય ઇનામ, રંગોળી સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય ક્રમ, અને ચિત્ર સ્પર્ધામાં દ્વિતીય ઇનામ જેવી અસંખ્ય સિદ્ધિઓ હાંસલ કરી છે. અરવિંદ સોની જેવા વિદ્યાર્થીના ચિત્રો લંડન આર્ટ ગેલેરીમાં પ્રદર્શિત થયા છે, જ્યારે હસમુખ અંગારીના ચિત્રો રવિશંકર મહારાજ આર્ટ ગેલેરીમાં વેચાયા છે. નેશનલ લેવલે મુસ્કાન ફાઉન્ડેશન આયોજિત ટેલેન્ટ શો “હમ ભી કિસી સે કમ નહીં” માં પ્રથમ ઇનામ પ્રાપ્ત કરીને વિદ્યાર્થીઓએ સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.
સંસ્થા વિદ્યાર્થીઓની ખુશીઓની પણ ચિંતા કરે છે. જમ્મુ - કટરા વૈષ્ણવદેવી મંદિર અને વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજની મુલાકાત જેવા શૈક્ષણિક પ્રવાસોનો ખર્ચ પણ સંસ્થા ઉઠાવે છે. આ ઉપરાંત, શિક્ષકોના પ્રયાસથી વિદ્યાર્થીઓનાં લગ્ન જેવા અંગત કાર્યોમાં પણ સંસ્થા માર્ગદર્શન પૂરું પાડે છે. આમ, રાષ્ટ્રીય અંધજન મંડળ, સાબરકાંઠા, દિવ્યાંગજનોને સશક્ત બનાવવા અને સમાજમાં સન્માનભેર સ્થાન અપાવવા માટે અવિરત પ્રયાસો કરી રહી છે, જે ખરેખર સરાહનીય છે.
અનીતાબેન પટેલ